વડોદરામાં પણ કોરોના હાહાકાર મચાવી રહયો છે ત્યારે સરકારે રાત્રિ કરફયુનો સમય રાતના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. કરફયુની સમયમર્યાદા વધી જતાં લોકો હાથીખાના બજારમાં ખરીદી માટે ઉમટી પડયાં હતાં.
રાજયમાં વધી રહેલા કોરોનાના કેસના પગલે લોકડાઉનના ભણકારા વાગી રહયાં છે ત્યારે લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે દોડધામ કરી રહયાં છે. વડોદરામાં લોકડાઉન કરવામાં આવે તેવી દહેશતના પગલે શહેરના સૌથી મોટા હાથીખાના બજારમાં નાના, મોટા વેપારીઓ સહિત માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો હતો. હાથીખાનામાં ભારે ધસારાને કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડયાં હતાં. હાથીખાના બજારમાં ભીડ ઉમટી હોવાની જાણ થતાં મહાનગર પાલિકાની ટીમ બજારમાં પહોંચી હતી. નિયમોના ભંગ બદલ એક દુકાનદારને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બજારના અન્ય વેપારીઓને જાણ થતાં તેમણે વિરોધ નોંધાવી પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. ગ્રાહકોથી ધમધમતાં હાથીખાના બજારની દુકાનોના શટરો ટપોટપ પડી ગયાં હતાં. આ ઉપરાંત વેપારીઓએ પાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.