રાજ્યભરમાં ચર્ચામાં રહેલા શિવાંશ તરછોડવાનું અને મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે સચિનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગાંધીનગરમાં ગુરુવાર રાત્રે પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળાના દરવાજેથી શિવાંશ નામનો 10 મહિનાનો બાળક તરછોડી દેવામાં આવ્યો હતો. પોલીસે તેને તરછોડનાર તેના પિતા સચિન દીક્ષિતની રાજસ્થાનમાંથી અટકાયત કરી હતી અને આકરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે શિવાંશની માતા અને પોતાની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી મહેંદી નામની યુવતીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે આજે આરોપીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતની કાર્યવાહી દરમિયાન પોલીસે આ કેસમાં સચિન તપાસમાં સહકાર આપતા ન હોવાની દલીલ કરી હતી અને સચિન પાસેથી વધુ વિગતો અને તબક્કાવાર ઘટના કેવી રીતે ઘટી તે તમામ તપાસ કરવાની હોવાથી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે સચિન તરફેણમાં વકીલે દલીલ કરી હતી કે સમગ્ર તપાસમાં સચિનની હાજરીની જરૂરિયાત નથી જેથી રિમાન્ડ મંજૂર કરવામાં આવે નહીં. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળી સચિનના 14 ઓક્ટોબર સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ તરફ ગાંધીનગર બાર એસો દ્વારા સચિન દીક્ષિત નો કેસ ન લડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે