વડોદરા હરણી લેક દુર્ઘટના, હાઈકોર્ટે આપ્યા મહત્વના આદેશ
હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા
વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. 18 જાન્યુઆરીના દિવસે વડોદરામાં કરૂણ ઘટના બની હતી. હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. આ મુદ્દે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેની આજે સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. તાત્કાલિક તપાસ કમિટી બનાવી ખાતાકીય, આર્થિક તપાસ તથા કોન્ટ્રાક્ટ સહિતની બાબતોમાં યોગ્ય દિશામાં તપાસ કરવા આદેશ કર્યો છે. આ તપાસ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે.
ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર ભોગ બનનાર પરિવારે કોટીયા પ્રોજેક્ટ, ડોલ્ફિન એન્ટરટેઈનમેન્ટ, સનરાઈઝ સ્કૂલને પક્ષકાર બનાવવા અરજી કરી કરી છે. બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટ પાસે એડમિનિસ્ટ્રેશનની જવાબદારી હતી, જયારે ડોલ્ફિન પ્રોજેક્ટ્સ દ્વારા મનોરંજન સ્થળે બેદરકારી પૂર્વક કામ કરાયું હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે વડોદરાના હરણી તળાવમાં બોટિંગ દરમિયાન વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ કરુણ ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરવામાં આવી હતી. દુર્ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરી જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.