વલસાડ જિલ્લાના વાપી પબ્લિક સ્કૂલ ખાતે જેસીઆઇ અને વાપી પબ્લિક સ્કૂલ દ્વારા રાજય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીના હસ્તે વાપી પબ્લિક સ્કૂલના પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું.
મંત્રી રમણલાલ પાટકરે વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જીવન જીવવા માટે હવા અને પાણી અનિવાર્ય છે. વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પૃથ્વી પર 33 ટકા વૃક્ષો હોવા જોઈએ. જેમ જેમ માનવની વસ્તી વધતી જાય છે તેમ ઓક્સિજનની જરૂરીયાત પણ વધશે. ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે. જંગલોનું પ્રમાણ વધારવા માટે ગુજરાત વનવિભાગ દ્વારા સમાજિક વનીકરણ યોજના અમલમાં મુકવામાં આવી છે. હાલમાં જ કલગામ ખાતે 21મું મારુતિ નંદનવન સાંસ્કૃતિક વનને રાજયના મુખ્યમંત્રીએ ખુલ્લુ મુકયું છે, જેના કારણે સમાજમાં જાગૃતિ વધશે, આમ, માનવ જીવન માટે ઓક્સિજનનું મહત્વ સમજી વધુ વૃક્ષો રોપવા માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે.
આ અવસરે જેસીઆઈના પ્રમુખ ડૉ. અંકિતાબેને જેસીઆઇ સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, આ સંસ્થા યુનાઈટેડ નેશન્સ સાથે જોડાઈને નક્કી કરવામાં આવેલા ધ્યેયો પ્રમાણે કામગીરી કરી આગળ વધી રહી છે. આ સંસ્થા દ્વારા પાંચ હજારથી વધુ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.. આ ઊપરાંત સંસ્થા દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની માહિતી પુરી પાડી હતી. શાળાના આચાર્ય અને હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડના ડાયરેકટર અલ્પાબેને વલસાડ જિલ્લામાં બાળકો સુઘી આ પ્રોગ્રામ પહોંચાડવા માટે ઉપસ્થિત મહેમાનોને સહકાર આપવા વિનંતિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કા શાહ, જેસીઆઈ પ્રમુખ પરીત ભટ્ટ, હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડના સેક્રેટરી ભદ્રેશભાઈ, સામાજિક આગેવાન રામદાસ વરઠા, મહેશ ભટ્ટ અને હર્ષદભાઈ, જેસીઆઇના સદસ્યો, શાળાના આચાર્ય, શિક્ષકો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170