વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકે એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલના પટાગણમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત સુશાસન સપ્‍તાહ ઉજવણીના ભાગરૂપે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવા માટેનો સમારંભ સાંસદ ડો. કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ ડો. કે.સી.પટેલ સહિત મહાનુભવોના હસ્‍તે વ્‍યક્‍તિગત આવાસ સહાય, માનવ ગરિમા યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરુ, આદિમજુથ આવાસ, વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ મંજૂરીપત્રો, દિવ્‍યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ પેન્‍શન યોજના, બૌધ્‍ધિક અસમર્થતા પેન્‍શન, દિવ્‍યાંગ સાધન સહાય, હળપતિ ગૃહ નિર્માણ વગેરે યોજનાના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડ કરતાં વધુ રકમની સહાયનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત નાનાપોંઢાથી જામગભાણ જતા રસ્‍તાથી જીરવલ કુહરૂલપાડાથી જીરવલ ચવરા ફળિયા તરફ જતો રસ્‍તો રૂ. ૪૫ લાખ, કાકડકોપર બારી ફળિયાથી બોરીપાડા સુખાલા હટવાડાને જોડતો રસ્‍તો રૂ. ૫૦ લાખ અને જાગીરી મુખ્‍ય રસ્‍તાથી શીવ ફળિયા જતો રસ્‍તો રૂ. ૨૫ લાખ મળી કુલ રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ રસ્‍તાઓનું લોકાર્પણ તેમજ વિવિધ ગામોમાં રૂ. ૩.૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમ, રસ્‍તા તેમજ ચેકડેમ કમ કોઝ વેના કુલ ૪૨ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.