રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું સ્વીકાર્યું. ધનખરે સોમવારે સાંજે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
જગદીપ ધનખરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા રાજીનામા પત્રમાં કહ્યું હતું કે, ‘હું મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ડોકટરોની સલાહનું પાલન કરવા માટે તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.’ તેમણે પોતાના પત્રમાં બંધારણની કલમ 67 (A)નો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગદીપ ધનખરના રાજીનામા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘શ્રી જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.’ પીએમ મોદીએ ધનખડના લાંબા જાહેર જીવન અને તેમની સેવાઓની પ્રશંસા કરી.
Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.
श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…
— Narendra Modi (@narendramodi) July 22, 2025
મંગળવારે રાજ્યસભામાં ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક સૂચના વાંચવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જગદીપ ધનખડનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યું છે. સત્રના અધ્યક્ષપદે રહેલા ઘનશ્યામ તિવારીએ બપોરે 12 વાગ્યે પ્રશ્નકાળ દરમિયાન ગૃહને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘ગૃહ મંત્રાલયે 22 જુલાઈ, 2025 ના રોજ જારી કરાયેલા એક જાહેરનામામાં જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું બંધારણની કલમ 67 (A) હેઠળ તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવ્યું છે.’
74 વર્ષીય જગદીપ ધનખર ઓગસ્ટ 2022 માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ રાજ્યસભાના પદાધિકારી પણ હતા. 6 ઓગસ્ટ 2022 ના રોજ યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં, તેમણે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાને હરાવીને જંગી વિજય મેળવ્યો હતો.
ધનખરને 528 મત મળ્યા હતા, જે છેલ્લા ત્રણ દાયકામાં કોઈપણ ઉપરાષ્ટ્રપતિ માટે સૌથી વધુ છે. અગાઉ, ધનખર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે, જ્યાં તેઓ ઘણીવાર રાજ્ય સરકાર સાથેના ઘર્ષણને કારણે હેડલાઇન્સમાં રહેતા હતા.
