Connect Gujarat
Featured

કેમ આપવામાં આવ્યો રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડ,જુઓ કનેક્ટ ગુજરાતનું Special bulletin

કેમ આપવામાં આવ્યો રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડ,જુઓ કનેક્ટ ગુજરાતનું Special bulletin
X

સિગ્નેચર સ્ટાઇટલના બાદશાહ રજનીકાંતને સર્વોચ્ચ સન્માન!

આજે ફિલ્મી દુનિયાના સર્વોચ્ચ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે... નમસ્કાર હું કુશાગ્ર ભટ્ટ કનેક્ટ ગુજરાતનાં વિશેષ બુલેટિનમાં આપ સૌ નું હાર્દિક સ્વાગત કરું છું .. થલાઈવા’ નામથી પ્રખ્યાત 70 વર્ષના સુપરસ્ટાર રજનીકાંત 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ મેળવવા જઇ રહ્યા છે ત્યારે આ સ્પેશ્યલ બુલેટિનમાં નજર કરીશું રજનીકાંતની સંઘર્ષ યાત્રા પર અને સાથે જ દાદા સાહેબ ફાળકે એવોર્ડ સાથે જોડાયેલ કેટલીક રોચક વાતો પર

આજરોજ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ‘દાદા સાહેબ ફાળકે અવોર્ડ’ની જાહેરાત કરી છે. દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘છેલ્લા 5 દાયકાથી રજનીકાંત ફિલ્મી જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પણ પૂરું પાડી રહ્યા છે. આ જ કારણે જ્યુરીએ તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.’ રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે.

રજનીકાંત એક બસ કંડક્ટર હતા અને તેઓ પહેલાથી જ અભિનયમાં રૂચિ ધરાવતા હતા. સુપરસ્ટારે કરિયરની શરૂઆતમાં ઘણો પરિશ્રમ કર્યો હતો.

રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950 ના રોજ બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. એક ગરીબ પરિવારમાં જન્મેલા રજનીકાંતે તેની મહેનત અને સખત સંઘર્ષને કારણે માત્ર ટોલીવુડમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ઘણું નામ કમાવ્યું હતું. દક્ષિણમાં, રજનીકાંતને થલાઇવા અને ભગવાન કહેવામાં આવે છે. રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે. રજનીકાંત, મોટા ભાઈ સત્યનારાયણના હમેશા પ્રિય રહ્યા છે. અભ્યાસમાં હોંશિયાર રજનીકાંતને સત્યનારાયણે રામકૃષ્ણ મઠમાં મોકલ્યા હતા. અહીંથી જ રજનીકાંતને અભિનયનો ચસ્કો લાગ્યો. એકલવ્ય પર આધારિત નાટકમાં એકલવ્યના મિત્રની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી કુરુક્ષેત્ર નાટક કર્યું. 12મા ધોરણ પછી ઘરના સભ્યોને કહ્યું કે, અભ્યાસમાં રસ નથી. પિતાએ વિરોધ કર્યો, પરંતુ મોટા ભાઈ રજનીકાંતની પ્રતિભા જાણતા હતા. બેંગલુરુ મશીનરીમાં કામ કર્યા પછી રજનીકાંત 1970માં બેંગલોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (બીટીએસ)માં કન્ડક્ટર બન્યા. બીટીએસમાં રજનીકાંતનો સાથી ડ્રાઈવર રાજા બધર તેમનો સૌથી ખાસ મિત્ર બન્યો. તેઓ સવારે 6થી 2 નોકરી કરતા, સાંજે થિયેટર. કન્ડક્ટરની નોકરીમાં રજનીકાંતે બીટીએસના 25 નાટકોમાં અભિનય કર્યો હતો.

ફિલ્મોમાં ઓફર આવી તો સુપરસ્ટાર રાજનીકાંતે માત્ર 21 દિવસમાં જ તામિલ ભાષા શીખી હતી અને બાદમાં બસ કંડક્ટર શિવાજી સુપરસ્ટાર રજનીકાંત બન્યો.

રજનીકાંતે 25 વર્ષની વયે તેમની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પ્રખ્યાત નિર્માતા કે.બાલાચંદ્રન મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યુટમાં લેક્ચર આપવા આવ્યા હતા. બાલાચંદ્રને સંસ્થાની કન્નડ બેચના વિદ્યાર્થી રજનીકાંતને ફિલ્મ ‘અપૂર્વા રંગાંગલ’માં એક ભૂમિકા ઓફર કરી. શરત મૂકી કે તેમણે તમિલ શીખવી પડશે. મરાઠી અને કન્નડભાષી રજનીકાંતે માત્ર 21 દિવસમાં તમિલ શીખી લીધી હતી. 27 માર્ચ, 1975ના રોજ રજનીકાંતે પ્રથમ વખત કેમેરાનો સામનો કર્યો. ડિરેક્ટર ઈચ્છતા ન હતા કે, દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા શિવાજી ગણેશનના નામનો ઉપયોગ થાય, એટલે તેમણે શિવાજી રાવને નવું નામ આપ્યું - રજનીકાંત. 1983માં ‘અંધા કાનુન’ ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી. 45 વર્ષની કારકિર્દીમાં રજનીકાંતે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ મિલાવીને કુલ 209 ફિલ્મોમાં કામ કર્યું છે. તે બે ફિલ્મોના રાઈટર અને પ્રોડ્યુસર પણ રહ્યા છે.

દાદા સાહેબ ફાળકે એવોર્ડએ ભારતીય સિનેમા જગતનો સર્વોચ્ચ પુરસ્કાર છે. આવો જાણીએ બાબા સાહેબ ફાળકે એવોર્ડની કેટલીક ખાસ વાતો.

દાદાસાહેબ ફાળકેના નામ પરથી ફિલ્મજગતનો સર્વોચ્ચ એવોર્ડ આપવાની શરૂઆત ૧૯૬૯ના વર્ષથી થયેલી. દાદાસાહેબની ફાળકેની જન્મ શતાબ્દીનું આ વર્ષ હતું. ૧૯૧૩માં 'રાજા હરિશ્વંચદ્ર' નામની ફુલ-લેન્થ ફિચર ફિલ્મ બનાવીને દાદાસાહેબે ભારતીય સિનેમાનો પાયો નાખ્યો હતો. ફિલ્મજગતમાં પોતાનું જીવન અર્પી દેનાર કલાક્ષેત્રના દિગ્ગજ કલાકારોને આ એવોર્ડ આપવામાં આવે છે. અને માટે જ આ એવોર્ડ ભારતીય ફિલ્મજગતનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે. આ એવોર્ડ મેળવનાર પ્રથમ અભિનેત્રી દેવિકા રાની હતી, જેનું 17મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સન્માન કરવામાં આવ્યું હતું. રજનીકાંત આ એવોર્ડ મેળવનારા 12મા દક્ષિણ ભારતીય છે. ડો.રાજકુમાર, અક્કિનેની નાગેશ્વર રાવ, કે બલાચંદર જેવા દિગ્ગજો પણ અગાઉ સન્માનિત થયા છે.

સાઉથમાં ફિલ્મોમાં નામના મેળવ્યા બાદ રજનીકાંતે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને ફિલ્મ ‘અંધા કાનૂન’થી ડેબ્યુ કર્યું. બોલીવૂડમાં પણ પોતાના દામદાર અભિનય અને સિગ્નેચર સ્ટાઈલથી તેઓએ લોકોને દિવાના બનાવ્યા હતા. તેમનું સિગારેટ ફ્લિપિંગ કરવાનો અંદાજ હોય કે સિક્કો ઉછાળવાનો યુનિક સ્ટાઈલ અથવા ચશ્મા પહેરવાનો અને હસવાના અંદાજને લોકોએ ખૂબ પસંદ કર્યો. ફક્ત દેશ જ નહી વિદેશીમાં પણ રજનીકાંતના સ્ટાઈલની કોપી કરવામાં આવી ત્યારે આજે તેઓને ફિલ્મી દુનિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનીત કરવામાં આવી રહ્યા છે … તો ફિલ્મી દુનિયાના સાથે અન્ય માહિતીઑ માટે આપ જોતાં રહો કનેક્ટ ગુજરાત ત્યાં સુધી મને રાજા આપશે નમસ્કાર

Next Story