ઈઝારાયલ-ભારત જેવા દેશો પછી હવે અમેરિકાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે, જે હેઠળ પોતાના દેશના નાગરિકોને ઈરાકની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં સૈનિકો અને કર્મચારીઓ પર થયેલા તાજેતરના હુમલા બાદ અમેરિકી નાગરિકોએ ઇરાકની યાત્રા ન કરવી જોઈએ. ટ્રાવેલ એડવાઇઝરીમાં જણાવાયું છે કે આતંકવાદ, અપહરણ, સશસ્ત્ર સંઘર્ષ, નાગરિક અશાંતિ અને મિશન ઇરાકની અમેરિકી નાગરિકોને સહાય પૂરી પાડવાની મર્યાદિત ક્ષમતાને કારણે ઇરાકની મુસાફરી ન કરવી.
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો ત્યારથી ઈરાક અને સીરિયામાં અમેરિકી દળો સામે પણ હુમલા વધી ગયા છે. ગયા અઠવાડિયે અમેરિકાના યુદ્ધજહાજે યમનમાં ઈરાન સમર્થિત હૌથીઓ દ્વારા છોડવામાં આવેલા એક ડઝનથી વધુ ડ્રોન અને ચાર ક્રુઝ મિસાઈલોને તોડી પાડી હતી. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે અમેરિકી કર્મચારીઓ અને હિતોની સામે વધી રહેલા સુરક્ષા જોખમોને કારણે અમેરિકી એમ્બેસી બગદાદ અને અમેરિકી કોન્સ્યુલેટ જનરલ એર્બિલમાંથી લાયક પરિવારના સભ્યો અને બિન-ઇમરજન્સી અમેરિકી સરકારી કર્મચારીઓને સ્થળાંતર કરી જવાના આદેશ બાદ આ સલાહ આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા વિરોધી મિલિશિયા સમગ્ર ઇરાકમાં અમેરિકી નાગરિકો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને ધમકી આપી રહ્યા છે.