/connect-gujarat/media/media_files/2025/02/07/wf2zBIW0NByseGTIzyaa.png)
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં શોકના માહોલ વચ્ચે હવે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે.
વાસ્તવમાં પાકિસ્તાને કાશ્મીર ખીણમાં નિયંત્રણ રેખા (LoC) પર ઉશ્કેરણી વિના ગોળીબાર કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. સંરક્ષણ વિભાગના એક અધિકારીએ શનિવારે (26 એપ્રિલ) આ માહિતી આપી.
શ્રીનગરમાં સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૨૫-૨૬ એપ્રિલની રાત્રે કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પાર પાકિસ્તાની સૈન્યની ઘણી ચોકીઓએ કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, સેનાના જવાનોએ યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપ્યો. આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે તેમના ઘરો તોડી પાડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સુરક્ષા દળોએ ખીણમાં સક્રિય આતંકવાદીઓના વધુ બે ઘરો તોડી પાડ્યા છે. સેનાએ લશ્કરના આતંકવાદી એહસાન અહેમદ શેખના બે માળના ઘરને IED લગાવીને ઉડાવી દીધું. એહસાન અહેમદ શેખ જૂન 2023 થી લશ્કરનો સભ્ય હતો અને પુલવામાના મુરાનનો રહેવાસી છે.