/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/07180309/maxresdefault-84.jpg)
ગુજરાતના કાંઠેથી મહા વાવાઝોડાનો ખતરો ભલે ટળી ગયો
હોય પણ કમોસમી વરસાદથી જનજીવન ખોરવાયું છે. અમરેલીમાં મોસમે કરવત બદલતાં ઠેર ઠેર
વરસાદી ઝાપટા વરસ્યાં છે.
ગુજરાતના દરિયાકાંઠે મહા વાવાઝોડુ ત્રાટકવાનો ભય
હોવાથી સરકાર અને તંત્ર સાબદુ બની ગયું હતું. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં
સલામતી અને સુરક્ષાના પુરતા પગલાં ભરાયાં હતાં. વાવાઝોડાનું જોર નરમ પડી જતાં
લોકોએ હાશકારો જરૂર લીધો છે પણ કમોસમી વરસાદે લોકોની હાલાકી વધારી છે. અમરેલી
જિલ્લાની વાત કરવામાં આવે તો અમરેલી, રાજુલા, જાફરાબાદ, વિકટર, દાંતરડી, કથીવદર સહિતના ગામોમાં મોસમના બદલાયેલા મિજાજ વચ્ચે વરસાદ વરસ્યો હતો.
જાફરાબાદમાં મેઘાની મહેરના કારણે બજારોમાં પાણી ભરાતાં જન જીવન પ્રભાવિત થયું
હતું. વાવાઝોડાની અસરના કારણે પીપાવાવ, શિયાળ બેટ અને જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી
રહયો છે. સલામતીના કારણોસર માછીમારોને દરિયો નહી ખેડવા સુચના આપવામાં આવી છે.
કમોસમી વરસાદથી ખેતીને મરણતોલ ફટકો પડતાં ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.