મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના 14 જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ગઈ રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી 4 કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહી સાયકલોન મેનેજમેન્ટની આગવી સંવેદના દર્શાવી હતી.

મુખ્યપ્રધાને આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને ગત રાત્રિના વાવાઝોડા અને વરસાદની સ્થિતિ, નુકસાની અને રોડ-રસ્તા, બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યસચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ કે દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.