અરવલ્લી જિલ્લામાં તમામ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેના કારણે સારવાર લેવા આવતા અનેક દર્દીઓને રઝળપાટ વેઠવાનો વારો આવે છે, હતો. જોકે દર્દીને વહેલી તકે સારવાર આપવામાં આવે તે માટે પરિજનો વલખાં મારી રહ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં કેટલાક સમયથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અરવલ્લીની તમામ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તો સાથે જ ઓક્સિજનની અછત ઉભી થતા કેટલાક દર્દીઓને જિંદગીથી પણ હાથ ધોવા પડ્યા છે. તેવામાં છેલ્લા 24 કલાકથી એક દર્દીને રિક્ષામાં જ ઓક્સિજન સહારે રાખવા માટે તેના પરિવારજનો મજબૂર બન્યા હતા. મહીસાગર જિલ્લાના વડધરી ગામનો મધ્યમ વર્ગીય પરિવાર પોતાના સ્વજનને યોગ્ય સારવાર મળવાની આશાએ અરવલ્લીમાં આવ્યો હતો, ત્યારે આ પરિવારે આખેયાખી હોસ્પિટલ ખૂંદી નાખી હતી. પરંતુ એક પણ તબીબે દર્દીને સારવાર આપવાની તસ્દી ન લીધી હોવાનો પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો. કોરોનાના કપરા કાળે મધ્યમ વર્ગીય પરિવારના લોકોની હાલત અત્યંત દયનિય બનાવી દીધી છે, તેમાં કોઈ બે મત નહીં.
