પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસી લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થયેલી રેફરલ હોસ્પિટલ ખાતે શુક્રવાર સવાર થી શનિવારે સવાર સુધી ના ૨૪ કલાકમાં ૨૯ પ્રસુતિ કરાવીને અહીં ના ડોક્ટર્સ, નર્સ સહિત ના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. તમામ બાળકો અને માતાઓ સ્વસ્થ હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. આજે કેટલીક માતાઓ અને બાળકો ને રજા આપવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા બહુમત આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે, તાલુકાના ઘણા અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર ના ગામડાઓ એવા છે, જ્યાં આપાતકાલીન સુવિધાઓ પહોંચી નથી શકતી અને જ્યાં પહોંચે એમ છે ત્યાં સમયે ન પહોંચે જેથી આરોગ્ય જેવી જરૂરી સુવિધાઓ માટે ઘોઘંબા ખાતે ની રેફરલ હોસ્પિટલ આ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન બની રહી છે.રેફરલ હોસ્પિટલના ડોક્ટર પારસભાઈ પટેલ તથા ડોક્ટર તેજસભાઈ શાહ અને તેઓના સ્ટાફ દ્વારા ૨૨ જુલાઈ સવાર થી અને ૨૩ જુલાઈ સવાર સુધી સતત કામગીરી કરી ૨૯ સગર્ભા માતાઓને સામાન્ય ડિલિવરી કરીને સમાજ માટે અને સામાન્ય લોકો માટે ખૂબ ઉત્તમ ઉદાહરણ રૂપ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.સામાન્ય રીતે પ્રસુતિ દરમ્યાન ઘણી માતાઓને બાળક જન્મવામાં તકલીફો ઉભી થતી હોય છે, સામાન્ય પ્રસુતિ ન થવાના કિસ્સા ડોક્ટર માટે ચેલેન્જરૂપ બનતા હોય છે તેવામાં અત્રે ની રેફરલ હોસ્પિટલ ના અનુભવી ડોક્ટર્સ, એન.પી.એમ. સ્ટાફ અને મેડિકલ સ્ટાફ નર્સ તેમજ અન્ય કર્મચારીઓના સઘન પ્રયત્નોથી આવા સુખદ પરિણામો મળતા હોય છે.
