સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરની કેસરી ટીશર્ટ મામલે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

કોંગ્રેસની ન્યાય યાત્રાનો બુધવારે સવારે ચોટીલાથી પ્રારંભ થયો હતો. ન્યાય યાત્રા ચોટીલાથી સાત કિમી દૂર પહોંચી હતી ત્યારે સાંગાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રા યોજી પસાર થઈ રહ્યા હતા. આ જ સમયે વિદ્યાર્થીઓના શરીર પર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીર વાળી કેસરી ટીશર્ટ જોઈને કોંગ્રેસના નેતાઓ ભડક્યા હતા અને વિદ્યાર્થીઓએ પહેરેલી સાવરકરની ટીશર્ટ દૂર કરી હતી. આ મામલે વિવાદ થતા શાળાના આચાર્ય દ્વારા કોંગ્રેસ રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા રાઘવભાઈ મેટાળીયા, ગોપાલભાઈ ટોળીયા અને હરેશભાઈ ઝાપડીયા તથા યાત્રામાં સામેલ અન્ય અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને તિરંગા યાત્રામાં રોકી ગેરવર્તન કરી ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરી અલગ અલગ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે તેવા કથનો અને કૃત્ય કરવાનો આક્ષેપ કરાયો છે.