• અંકલેશ્વર- હાંસોટ પંથકમાં ઘઉંનું વાવેતર

  • મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરાયુ

  • ગરમીની ઘઉંના પાક પર વિપરીત અસર

  • તાપમાન વધતા ઘઉંનું ઉત્પાદન ઘટ્યું

  • ગરમી વહેલી શરૂ થતા ઘઉંનો પાક ઘટ્યો !

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ઘઉં પકવતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ઊંચા તાપમાનના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે

ગયા વર્ષે ગરમીએ ઘઉંનો સોથ વાળી દીધો હતો. આ વખતે ઘઉંમાં ખેડૂતોને બમ્પએ ઉત્પાદન મળશે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ વર્તમાન હવામાનની જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેના કારણે ઘઉંના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે.અંકલેશ્વર-હાંસોટ પંથકમાં મોટાપ્રમાણમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે પરંતુ ગરમી વહેલી શરૂ થવાના કારણે ઘઉંના પાક પર તેની અસર જોવા મળી રહી છે.ઉકાઈ જમણા કાંઠા કેનાલ મારફતે ખેડૂતોને સમયસર પાણી તો મળી રહ્યું છે પરંતુ મૌસમના બદલાતા મિજાજના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસાવી છે.નિષ્ણાતોના મતે  ફેબ્રુઆરી માસના પાછલા દિવસો જ ગરમ રહ્યા હતા જેના કારણે ઘઉંના ઉત્પાદન પર અસર પડી છે.તાપમાનમાં ફેરફારને કારણે જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો અને ફેબ્રુઆરી મહિનો સિઝન પ્રમાણે સૌથી ગરમ બન્યો છે તેની અસર પાક પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.