• ભરૂચ સહિતના નાના શહેરોમાં જાગૃતતા

  • લોકોમાં શેર બજારમાં રોકાણની રુચિ વધી

  • દેશના અર્થતંત્રમાં આપી રહ્યા છે મહત્વનું યોગદાન

  • ડિજિટલાઇઝેશનના કારણે લોકો શેરબજાર તરફ વળ્યા

  • મ્યુચલ ફંડ મારફતે શેરબજારમાં કરી રહ્યા છે રોકાણ

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શેર બજારમાં નાણાં રોકાણની શ્રેણીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. જે અગાઉ માત્ર મોટા શહેરો અને મેટ્રોપોલિટન વિસ્તારોના લોકો શેર બજારમાં રોકાણ કરતા હતા, હવે ભરૂચ- અંકલેશ્વર સહિતના નાના શહેરોમાં પણ લોકો શેરબજાર તરફ વળ્યા છે.
પહેલાના સમયમાં શેરબજાર માત્ર મોટા શહેરોમાં જ પ્રચલિત હતું અને શેર બજારમાં આર્થિક રીતે શિક્ષિત લોકો જ તેમાં રોકાણ કરતા હતા પરંતુ બદલાયેલા સમય અને ડિજિટલ યુગના કારણે હવે નાના શહેરોના લોકો પણ શેર બજારમાં રોકાણ કરતા થયા છે.પહેલા જે લોકો માત્ર બૅન્કમાં બચત રાખતા હતા, હવે તેઓ પોતાની સંપત્તિ વધારવા માટે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે.
આ ઉપરાંત, આ બદલાવથી આર્થિક દૃષ્ટિએ પણ સુધારો થતો જોવા મળ્યો છે.ભરૂચના યુવાનો અને મધ્યમ વર્ગના લોકો શેર બજાર વિશે માહિતી મેળવવા માટે વર્કશોપ્સ અને ઓનલાઇન કોર્સિસનો સહારો લઈ રહ્યા છે, જે તેમની રોકાણ ક્ષમતા વધારી રહી છે.નાના શહેરોમાં અને ગામોમાં ડિજિટલ ભારત અભિયાનને કારણે હવે લોકો માટે શેર બજારમાં રોકાણ કરવું વધુ સરળ બની ગયું છે. હવે લોકો સ્માર્ટફોન દ્વારા માત્ર રોકાણ કરી શકતા નથી પરંતુ શેર બજારની ચળવળ પર પણ નજર રાખી શકે છે.
લોકો શેર બજારમાં રોકાણ કરવા માટે બ્રોકરો અને વિશેષજ્ઞોની સલાહ લઈ રહ્યા છે જેમણે તેમને રોકાણની વ્યૂહરચના અને બજારના ઉતાર-ચડાવ 
અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. ભરૂચમાં શેરમાર્કેટ સાથે સંકળાયેલ ભાવિન મોદીએ આ અંગે જણાવ્યું હતું કે શેરબજારમાં રોકાણ માટે વધતી જતી રુચિ માત્ર ગામો અને નાના શહેરોનું આર્થિક સશક્તિકરણ નથી, પરંતુ આ દેશના આર્થિક વિકાસ માટે પણ મજબૂત કડી છે. 
વિશ્વમાં હાલમાં ટ્રેડવોડ જેવી ભયંકર હરીફાઈ વચ્ચે પણ ભારત આ સ્પર્ધામાં ટકી રહ્યું છે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતના અર્થતંત્ર પર એટલી અસર પડી નથી અને ભારતનું અર્થતંત્ર સશક્ત રીતે આગળ વધી રહ્યું છે જેમાં નાના રોકાણકર્તાઓનો પણ મહત્વનો ફાળો રહ્યો છે તેમ કહી શકાય.