પાલનપુરમાં ST બસ અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર
ST બસ અને રિક્ષા સામસામે ધડાકાભેર ભટકાઈ
સર્જાયેલા અકસ્માતમાં 3ના મોત અને 5 ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
પોલીસે ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખરોડિયા ચોકડી પાસે ST બસ અને પેસેન્જર રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ હતી,આ ઘટનામાં 3 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક આવેલી ખરોડિયા ચોકડી પાસે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. વડગામ તરફથી આવી રહેલી એક પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી ગુજરાત એસ.ટી. બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ બનતા જ સ્થાનિક રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત અંગે જાણ થતાં જ પાલનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને માર્ગ પર સર્જાયેલા ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો હતો. આ મામલે ગુનો નોંધીને પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
