ભરૂચમાં ગણેશમહોત્સવની ઉજવણી

સિંધવાઈ ગણેશ મંડળ દ્વારા અનોખી ઉજવણી

લેખન સ્વરૂપમાં ગણેશજી થયા બિરાજમાન

બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્ર

પ્રભુને ટપાલ પેટીમાં અર્પણ કરાય છે પત્ર

ભરૂચના સિંધવાઈ ગણેશ મંડળમાં બાપા એક અનોખા ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન થયા છે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જ્ઞાન અને વિદ્યાના આશીર્વાદ મેળવવા પહોંચી રહ્યા છે.

ભરૂચના સિંધવાઈ ગણેશ મંડળમાં સ્થાપિત ગણેશજીનું  રૂપ વિદ્યાર્થીઓ માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં ગણેશજી ‘લેખન સ્વરૂપ’માં ભક્તોને દર્શન આપી રહ્યા છે. માનવામાં આવે છે કે અભ્યાસ કરતા બાળકો જો સાચા મનથી આ લેખન ગણેશ સમક્ષ પ્રાર્થના કરે તો તેમને ઉત્તમ વિદ્યા અને જ્ઞાન માટે શ્રીજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પંડાલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં બાળકો પોતાના નામ સાથે અભ્યાસને લગતો એક પત્ર લખીને પ્રભુને અર્પણ કરે છે. માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના વાલીઓ પણ પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે પત્ર લખીને પ્રભુની ખાસ ‘ટપાલપેટી’માં સમર્પિત કરે છે.

વિદ્યાના દાતા ગણેશજીના દરબારમાં આ અનોખી પત્ર વ્યવહારની પરંપરાને વધાવવા માટે ભરૂચના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. બાળકોના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટેની આ ભાવના ખરેખર અદ્ભુત છે.

આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક વાત સ્ક્રીન અને કી-બોર્ડ સુધી સીમિત થઈ ગઈ છે, ત્યાં ભરૂચના સિંધવાઈ ગણેશ મંડળની પહેલ એક અલગ જ અને સકારાત્મક રાહ ચીંધે છે. અહીં બાપા સમક્ષ પત્ર દ્વારા રજૂ થતી બાળકોની બાળસહજ આશાઓ અને સપનાંઓ માત્ર કાગળના ટુકડા નથી પરંતુ તેમની મહેનત અને શ્રદ્ધાની અભિવ્યક્તિ છે.