કોરોના વાયરસના કેસ સતત વધતા હોવાને કારણે આ વર્ષે ઉત્તરાખંડ સરકારે ચારધામની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ તીરથ સિંહ રાવતે 29 એપ્રિલે ગુરુવારે કહ્યું આ વર્ષે ચારધામ યાત્રા નહીં થાય. ચારધામના મંદિરમાં માત્ર પુજારી જ પુજા કરશે.
વિતેલા વર્ષે પણ કોરોના વાયરસ સંક્રમણને કારણે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી હતી. આ વર્ષે પહેલા અમરનાથ યાત્રા માટે 28 જૂનથી 22 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી.
દેશમાં કોરોના મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 30 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
