વલસાડ જિલ્લાના મોટાપોંઢા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલા સ્વસહાય જૂથને રિવોલવિંગ ફંડ અને કેશક્રેડિટ લોન સહાયના ચેક, આયુષ્યમાન ભારત યોજના હેઠળના કાર્ડ, પશુપાલન માટે પાવર ટીલર અને ચાફટર કટરની સહાયની રકમ, દિવ્યાંગોને યુ.ડી.આઈ.ડી. કાર્ડ, ખેતીવાડી શાખા દ્વારા રોટાવેટર, માલવાહક વાહન, ઘાસચારા કીટ, દેશી ગાય નિભાવ ખર્ચ, બાગાયત ખાતા દ્વારા છત્રી સહિતના લાભોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
આ અવસરે રાજયમંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત બેઠક મુજબ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના માધ્યમ થકી દરેક ગામોમાં અનેકવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવાની સાથે લાભાર્થીર્ઓને યોજનાઓના લાભો આપી આત્મનિર્ભર બને તે દિશાના પ્રયાસો હાથ ધરાયા છે. જે પૈકી મોટાપોંઢા બેઠક વિસ્તારમાં માર્ગ અને મકાન દ્વારા ૬૮૬ લાખના ખર્ચે વિવિધ રસ્તા નવીનીકરણની કામગીરીનું ભૂમિપૂજન તેમજ વાસ્મો દ્વારા રૂ. ૮૭૬ લાખના ખર્ચે ઘર કનેક્શનની કામગીરીનો શુભારંભ કરાયો છે.
વલસાડ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આયોજનબદ્ધ કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત કપરાડા તાલુકાના પેંઢારદેવી ગામે બનાવાયેલા મુખ્ય સંપમાંથી નીચે આવેલા અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાનું સુચારુ આયોજન કરાયું છે, ત્યારે આવનારા નજીકના ભવિષ્યમાં જ પ્રજાજનોને તેનો લાભ મળશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ગામમાં થઈ રહેલા દરેક પ્રકારના વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત થાય તે માટે ગ્રામજનો પણ કામગીરીનું ધ્યાન રાખે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170