/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/11174738/1-4.jpg)
અમદાવાદ જિલ્લો કોવીડના સંદર્ભે કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા સક્ષમ છે, તેવો આત્મવિશ્વાસ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો છે.
શિક્ષણમંત્રીએ અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૨૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ મુખ્યમંત્રીના “મારુ ગામ કોરોનામુક્ત ગામ”ના આહવાનને ઝીલી લઈ યુદ્ધના ધોરણે ત્રીજી લહેર માટેની પૂર્વતૈયારીઓ પણ શરુ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ આ તૈયારીના ભાગરુપે ૧૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન, ૨૩ વેન્ટીલેટર, ૫૦ બાયપેપ મશીન તેમ જ ૭ જેટલા ઓક્સિજન પ્લાન્ટ માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં કોવીડની સ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરાયેલી કામગીરનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં કોવીડને અટકાવવા માટેના રક્ષણાત્મક પગલા અને કોવીડ થયા બાદ જરુરી સારવાર-સુવિધા એમ બંને પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર જનશક્તિના સહારે કોવીડ સામેનો જંગ જીતવા અવિરત પ્રયાસ કરી રહ્યું છે અને તેમાં સમાજનો પણ સહયોગ સાંપડ્યો છે. તેમણે આ અવસરે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જિલ્લામાં કોવીડ સંદર્ભે જરૂરી સાધનો માટે જિલ્લાના ધારાસભ્યો અને સંસદસભ્યો આયોજનબદ્ધ રીતે ગ્રાંટ ફાળવી રહ્યા છે.