અમદાવાદ : કર્ણાવતીમાં કોરોનાનો કહેર, જુઓ એક કલાકમાં કેટલા લોકોને અપાય છે વેકસીન

New Update
અમદાવાદ : કર્ણાવતીમાં કોરોનાનો કહેર, જુઓ એક કલાકમાં કેટલા લોકોને અપાય છે વેકસીન

અમદાવાદમાં કોરોના વાયરસના વધી રહેલાં દર્દીઓને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર એકશનમાં આવ્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે વેકસીનેશનની કામગીરી પર ભાર મુકવામાં આવી રહયો છે અને તેના ભાગરૂપે શહેરમાં ઠેર ઠેર વેકસીનેશન સેન્ટર શરૂ કરાયાં છે...


રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ દરમિયાન કોરોના ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ હતો અને હવે ચુંટણીઓ સમાપ્ત થતાંની સાથે કોરોનાએ ફરીથી માથું ઉચકયું છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં વધી રહેલાં કેસોને રોકવા હવે વેકસીનેશનનો સહારો લેવાય રહયો છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બનતા વેક્સિનેશનની પ્રકિયા ઝડપી બનાવવામાં આવી છે. શહેરમાં અલગ અલગ સ્થળોએ વેક્સિનેશન સેન્ટર ખોલવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ટાગોર હોલ ખાતે સૌથી મોટું વેક્સિનેશન સેન્ટર કાર્યરત કરી દીધું છે અને અહીં એક દિવસમાં ત્રણ હજાર લોકોને વેક્સીન આપવામાં આવશે. આ કામગીરી માટે 150 થી વધુ મેડિકલ સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો વેકસીન લેવા માટે આવી રહયાં છે. જો આપ પણ કોરોના વેકસીનનો ડોઝ લેવા માંગતા હોય તો રહેઠાણના પુરાવા સાથે નજીકના વેકસીનેશન સેન્ટર ખાતે જઇ શકો છો..


અહીં દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે શારીરિક રીતે અશકત લોકો માટે વ્હીલ ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોને રસી કેવી રીતના મુકવામાં આવે છે અને રસી મુક્યા બાદ આપણે ક્યાં પ્રકારની કાળજી લેવી તેની પણ સમજ આપવામાં આવી રહી છે. રસી મુક્યા બાદ કોઈ આડ અસર થાય છે કે નહિ તે માટે 30 મિનિટ નિષ્ણાત ડોકટરોની નિગરાનીમાં રસી મુકાવનારા વ્યકતિને રાખવામાં આવે છે.


રાજ્યમાં અત્યાર સુધીમાં 24 લાખથી વધારે વ્યક્તિઓને પ્રથમ અને 5 લાખથી વધારે વ્યક્તિઓને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ એક લાખ 37 હજાર કરતાં વધારે વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. કોરોનાના વધી રહેલાં કેસોની ગંભીરતા પારખી તાજેતરમાં વડાપ્રધાને ગુજરાત સહિત વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કોન્ફરન્સ કરી વેકસીનેશનનો દર વધારવા તાકીદ કરી હતી.