અમદાવાદ: લોથલ ખાતે ફરી એકવાર ભારતીય વારસો થશે જીવંત, જુઓ કેન્દ્ર સરકાર શું બનાવી રહી છે પ્લાન
લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે
કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટર સર્વાનંદ સોનેવાલે અમદાવાદ પાસે બની રહેલા મેરિટાઇમ હેરિટેજ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. લોથલ ખાતે કાર્યરત કરવામાં આવેલ આ હેરિટેજ કોમ્પલેક્ષમાં ભારતીય વારસાને જીવંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે અધિકારીઓ સાથે સાઇટની મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.સોનોવાલે લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ પ્રોજેક્ટની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ સીઈઓ અવંતિકા સિંહ, અમદાવાદ કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ પત્રકારોને સંબોધતા સોનોવાલે કહ્યું કે દેશના ઐતિહાસિક દરિયાઈ વારસાને દર્શાવતું આ કોમ્પલેક્ષ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કુલ ચાર હજાર કરોડના આ પ્રોજેક્ટ થકી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે અને રોજગારીની અનેક નવી તકો સર્જાશે જેનો લાભ લોથલના આસપાસના લોકોને મળશે.