તાઉતે વાવાઝોડાની તબાહી બાદ અમરેલી જિલ્લાના વીજળી વિહોણા કેટલાક ગામોની મુલાકાતે વહીવટી તંત્ર પહોચી શક્યું નથી, ત્યારે રાજુલા તાલુકાના ઉંચેયા ગામના સરપંચે લોકોની સેવા કરવાની અનોખી પહેલ કરી છે. સરપંચ દ્વારા કુવામાં મશીન ઉતારી ટેન્કર મારફતે લોકોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.
તાઉતે વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલ ગામોની સ્થિતિ અત્યંત ભયાનક બની છે. અહી લોકો ઘણા દિવસથી વીજળી વિહોણા રહ્યા છે, તો સાથે જ હવે લોકો માટે પીવાના પાણીની પણ વિકટ સમસ્યા સર્જાઈ છે. જોકે, ગ્રામજનોને પાણીના ટેન્કર પહોચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે રાજુલા તાલુકાના ઉંચેયા ગામના સરપંચ પ્રતાપ બેપારીયા અને ઉપસરપંચ દિલુ ધાખડા દ્વારા નવતર પ્રયોગ કરી પીવાનું પાણી ગ્રામજનોને આપવામાં આવી રહ્યું છે.
ઉંચેયા ગામે વરસાદના કારણે ગ્રામ પંચાયતનો કુવો આખેઆખો પાણીથી ભરાય ગયો છે, ત્યારે ગામના સરપંચ અને તેમની ટીમ દ્વારા આ કુવામાં ખાટલા મારફતે મશીન નીચે ઉતારી પાણી ખેચવામાં આવી રહ્યું છે. જે પાણી કુવાની બાજુમાં રહેલા પશુઓના ખાલી અવેડામાં ઠાલવી ગામલોકો અને પશુ માટે વાપરવામાં આવે છે. દિવસ દરમ્યાન પાણી માટે ગામના સરપંચનું ટેન્કર સતત આંટાફેરા મારી રહ્યું છે, ત્યારે ઉંચેયા ગ્રામ પંચાયત દ્વારા આ સુંદર વ્યવસ્થા ઉભી કરાતા સૌ ગ્રામજનોએ સરપંચ અને તેમની ટીમનો આભાર માન્યો છે.