-
શહેરમાં પાણીકાપ વચ્ચે નગરપાલિકાનું બુદ્ધિ પ્રદર્શન
-
કસક ગરનાળુ ધોવાના વીડિયોના કારણે વિવાદ સર્જાયો
-
પાણી માટે હાલાકી સામે કોંગ્રેસ દ્વારા પાલિકાને રજૂઆત
-
નાળાની સફાઈ માટે પાણીનો ઉપયોગ યોગ્ય નહીં : વિપક્ષ
-
સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાંટના રિટેલ પાણીથી નાળાની સફાઈ
-
પાણીની અછત ન સર્જાય તે માટે પાલિકાની તકેદારી : પ્રમુખ
ભરૂચમાં પાણીકાપ વચ્ચે નગરપાલિકા દ્વારા કસક ગરનાળુ ધોવાના વીડિયો પર વિવાદ સર્જાયો છે, ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવતા પાલિકા પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરભરમાં પાણીકાપ અમલમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે ગતરોજ રાત્રિના સમયે ફાયર વિભાગ દ્વારા શહેરના કસક ગરનાળાને પાણીથી ધોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. પાણીની અછત વચ્ચે સફાઈ માટે પાણીનો ઉપયોગ કરાતા કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય તથા પૂર્વ વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક તરફ શહેરની જનતા પાણીના કાપથી પરેશાન છે, અને જરૂરી પાણી માટે હાલાકી ભોગવી રહી છે.
તો બીજી તરફ, ફાયર ટેન્ડર મારફતે ગરનાળાની સફાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી, ત્યારે આ મામલે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાંટમાંથી રિટેલ પાણી લાવી ગરનાળાની સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે. આ સાથે જ પીવા લાયક પાણીનો બગાડ ન થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. અને ભરૂચ શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે પણ નગરપાલિકા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યુ હતું.
