જાણો, ચૈત્રી નવરાત્રિના પ્રારંભે પૂજન-અર્ચન કરવાનું શુભ મુહૂર્ત, તો સાથે જ દરેક રાશિના જાતકો માટે વિશિષ્ટ ઉપાસના કરવાની પધ્ધતિ

Update: 2021-04-12 09:58 GMT

આવતી કાલે તા. 13મી એપ્રિલ મંગળવારના રોજ ચૈત્ર સુદ એમક ચૈત્રી વાસંતી નોરતા (ચૈત્રી નવરાત્રી)નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ઘણા ભકતો શ્રી ઝુલેલાલ દરિયાલાલ જયંતીની શાનદાર ઉજવણી ઘરે બેસીને મનાવશે. તો સાથે જ આ દિવસે ગૂડી પડવાની પણ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઊજવણી કરવામાં આવશે. જોકે સાધના સિદ્ધિ કરવા માટે વર્ષની ચાર નવરાત્રિમાં આ નવરાત્રીનું વિશેષ મહત્વ માનવમાં આવે છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન કરવાનું સવારે 9.23થી 11.18 સુધી ચલ, સવારે 11.18થી 12.47 સુધી લાભ, બપોરે 12.47થી 14.18 સુધી અમૃત અને બપોરે 15.49થી 17.20 સુધી શુભ મુહૂર્ત છે, ત્યારે ઘટ સ્થાપનની પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે, આંબાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર સફેદ કે, લાલ કલરના કપડાં ઉપર મૂકીને સ્થાપન કરવું વધુ લાભકારક માનવમાં આવે છે. આજના દિવસે ઘણા બધા સાધકો મીઠા વગરની ચીજવસ્તુ ખાઈને ઉપાસના કરતા હોય છે. તો સાથે જ કડવા લીમડાના મોરનો રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે.

ચૈત્રી નવરાત્રીમાં ઘણા ભક્તો દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે, શતકના પાઠ નિયમિત કરતાં હોય છે. કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાનું શીઘ્ર ફળદાયી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે, ઉપવાસ ન કરી શકતો હોય તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદના પુષ્પ અર્પણ કરે તો તેઓ ઉપર પણ માતાજી પ્રસન્ન થતા હોય છે. ચૈત્રી નવરાત્રીની શરૂઆતમાં જ ગ્રહોના રાજા સૂર્ય મહારાજ અને સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરે છે. આ ઉપરાંત ચૈત્રી નવરાત્રીમાં સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ યોગમાં નવરાત્રિની શરૂઆત થઇ રહી છે, જે આ વર્ષે સાધનાના પરિણામને અનેક ગણું કરી શકે છે. વિશિષ્ઠ સંજોગોમાં આવતી આ ચૈત્રી નવરાત્રીમાં માતાની સાધના અનેક કષ્ટોમાંથી ઉગારી સુખ શાંતિ સમૃદ્ધિ આપી શકે છે.

ચૈત્રી નવરાત્રિમાં દરેક રાશિના જાતકો માટે વિશિષ્ટ ઉપાસના અને આરાધના કરવાથી તેઓને વિશેષ લાભ પણ મળી રહેશે. મેષ રાશિના જાતકોએ કંકુથી ચાદંલો કરી અક્ષત ચઢાવી ચંડીપાઠ કરવો. વૃષભ રાશિના જાતકોએ માતાજીના દર્શન કરી સાકર અર્પણ કરી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો. મિથુન રાશિના જાતકોએ માતાજીના મંદિર ઉપર સરસ તોરણ લગાડી મનોમન પ્રાર્થના કરી ગાયત્રી ચાલીસા પઠન કરવું. કર્ક રાશિના જાતકોએ કુળદેવીના દર્શન કરી ગાયત્રી મંત્રનો જાપ કરવો. સિંહ રાશિના જાતકોએ માતાજીના મંદિર પાસે અખંડ દીવો નવરાત્રિમાં રહે એ રીતે પ્રયત્ન કરવો. કન્યા રાશિના જાતકોએ માતાજીને લાપસી અર્પણ કરી ચામુંડા માતાજીનો મંત્ર જાપ કરવો. તુલા રાશિના જાતકોએ વહેલી સવારે માતાજીનું સ્થાપન કરી કુવારીકાઓને ભેટ-સોગાદ અર્પણ કરવી. વૃશ્વિક રાશિના જાતકોએ માતાજીના ઘટસ્થાપનમાં મગનો સ્વસ્તિક બનાવી તેની વચ્ચોવચ ચણાની દાળ રાખવી. તો સાથે જ બગલામુખી માતાજીની ઉપાસના કરવી. ધન રાશિના જાતકોએ આ ચૈત્રી નવરાત્રિમાં નિત્ય માતાજીના દર્શન કરી શક્ય હોય તો સંપૂર્ણ મૌન રહેવાનો પ્રયત્ન કરશો. મકર રાશિના જાતકોએ કાળિકા માતાજીની ઉપાસના વિશેષ ફળદાયી નીવડશે. કુંભ રાશિના જાતકોએ આ નવરાત્રિમાં દરરોજ સવાર-સાંજ માતાજીને ધૂપ-અગરબત્તી કરી આરતી કરશો. અને મીન રાશિના જાતકોએ વામકુક્ષી ન કરવી, ભૂમિશયન, બ્રહ્મચર્યવ્રત સાથે માતાજીની વિશેષ ઉપાસના આરાધના કરવી વધુ ફળદાયી સાબિત થશે.

Similar News