ભરૂચ : દિવ્યાંગ ભાઇને ખભા પર બેસાડી વતન જતાં ભાઇએ સૌના કાળજા કંપાવ્યાં

Update: 2020-03-28 10:46 GMT

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે પણ આજકાલ હાઇવે પણ કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહયાં છે.

અમે તમે જણાવી રહયાં છે કવાંટના બે ભાઇઓની દર્દભરી કહાની…પરિવારનું ગુજરાન ચલાવવા માટે છોટાઉદેપુરના કવાંટ ખાતે રહેતાં બે ભાઇઓ રોજગારી માટે સુરત આવ્યાં હતાં. બે પૈકી એક ભાઇ દિવ્યાંગ હોવાથી ચાલી શકતો નથી. કોરોના વાયરસના કારણે સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે અને લોકોને જયાં હોય ત્યાં જ રોકવા માટે આદેશ કર્યો છે. લોકડાઉનના કારણે ગરીબ શ્રમજીવીઓ પર આભ તુટી પડયું છે. કામ બંધ થઇ જતાં તેમને નાણા મળે તેવા સંજોગો નથી. રહેવાની સગવડ નહિ હોવાથી તેમને ફરજિયાત વતનમાં જવું પડે તેમ છે.

લોક ડાઉનના કારણે બસો અને ટ્રેનો બંધ છે. આવા સંજોગોમાં તેઓ સહી સલામત રીતે ઘરે પહોંચી જવાય તેવા નિર્ધાર સાથે પગપાળા નીકળી પડયાં છે. કવાંટના ભાઇએ તેના દિવ્યાંગ ભાઇને ખભા પર બેસાડી લીધો છે. સુરતથી 65 કીમીનું અંતર કાપી તેઓ ભરૂચ આવી પહોંચ્યાં હતાં. ભરૂચ હાઇવે પર ઉભા રહેતા સેવાભાવી યુવાનોએ તેમને ચા- નાસ્તો આપી આરામ કરવાની વ્યવસ્થા કરી આપી છે. જો લોકડાઉન પહેલાં સરકારે આવા ગરીબ શ્રમજીવી લોકોને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી હોત તો કદાચ સરકાર સાચા અર્થમાં સંવેદનશીલ સરકાર બની હોત…..

Similar News