ભરૂચ : પોલીસને શાનમાં રહેવા કોંગ્રેસ પ્રમુખની ચીમકી, જુઓ શું છે ઘટના

Update: 2020-10-02 09:34 GMT

ભરૂચ શહેરના રેલવે સ્ટેશન ખાતે ખેડુતોના પ્રશ્ને ધરણા- પ્રદર્શન કરી રહેલાં કોંગી કાર્યકરોને પોલીસે હટાવતાં વિવાદ થયો હતો. કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણથી તંગદિલી ફેલાય હતી.

કેન્દ્રની ભાજપ સરકારે તાજેતરમાં ખેતીલક્ષી ત્રણ બિલો પસાર કર્યા છે. આ બિલો ખેડુત વિરોધી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ગાંધી જયંતિના દિવસે રાજયભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. ભરૂચમાં કોંગ્રેસના ઉપક્રમે રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ આગેવાનો અને કાર્યકરોએ ધરણાની શરૂઆત કરી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસની એન્ટ્રી થઇ હતી.

પોલીસે મંડપ દુર કરતાં આગેવાનો અને કાર્યકરો વિફર્યા હતાં. પોલીસે કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. એક કલાક સુધી રેલવે સ્ટેશન ખાતે ભારે નારેબાજી કરવામાં આવી હતી. ભરુચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણાએ જણાવ્યું હતું કે, ગઇકાલે હાથરસ ખાતે જઇ રહેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પોલીસે ગેરવર્ણતુક કરી હતી. આજે ભરૂચમાં કોંગી કાર્યકરોની પણ ટીંગાટોળી કરી હતી. ભરૂચ પોલીસે ભાજપના ઇશારે કામ કરવાનું બંધ કરી દે. ભવિષ્યમાં રાજયમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે અમે પણ પોલીસને ખબર પાડી દઇશું…..

Similar News