પશ્ચિમ રેલવેને લોકડાઉનમાં 107 કરોડ રૂપિયાની જંગી ખોટ

Update: 2020-03-25 13:02 GMT

કોરોના વાયરસની અસર હવે દેશના અર્થતંત્ર પર વર્તાઇ રહી છે. કોરોના વાયરસના કારણે પશ્ચિમ રેલવેએ બંધ કરેલી રેલ સેવાના પગલે રેલવે વિભાગને 107 કરોડ રૂા.ની ખોટ ગઇ હોવાની વિગતો સામે આવી છે.

ભારતમાં કોરોના વાયરસનો પગપેસારો થયા બાદ સરકાર એકશનમાં આવી હતી. લોકોની અવરજવર રોકવા માટે 22મી માર્ચથી રેલવે તથા બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. 22મીએ પેસેન્જર ટ્રેનો બંધ રખાય હતી પણ બાદમાં દેશના ગૃહ મંત્રાલયના આદેશથી તમામ ટ્રેનોને બંધ કરી દેવામાં આવી છે. હાલ માત્ર ગુડસ ટ્રેન જ ચાલુ છે. દિલ્હી અને મુંબઇને જોડતી ટ્રેનો બંધ હોવાથી રેલવે સ્ટેશનો સુમસાન બની ગયાં છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોની ચહલપહલ બંધ થઇ ચુકી છે તેમજ ખાણીપીણીના સ્ટોલ બંધ કરાવી દેવાયાં છે. મુંબઇની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનો પણ બંધ હાલતમાં છે. આવા સંજોગોમાં લોક ડાઉનના કારણે પશ્ચિમ રેલવેને 107 કરોડ રૂપિયા ઉપરાંતની જંગી ખોટ ગઇ છે. કોરોનાના કહેર યથાવત રહેશે તો રેલવેને હજી વધારે ખોટ સહન કરવી પડે તેવા સંજોગો ઉભા થયાં છે.

Similar News