મંદિરનું ગર્ભગૃહ શુક્રવારે સાંજે પાંચ વાગે ખુલશે.
સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાનું મંદિર આજથી બે મહિના માટે ખુલવા જઇ રહ્યું છે. મંદિરનું ગર્ભગૃહ શુક્રવારે સાંજે પાંચ વાગે ખુલશે. સુપ્રીમ કોર્ટના 28 સપ્ટેમ્બરના આદેશ પછી પણ કોઇ પણ મહિલા વિરોધના કારણે મંદિરમાં અત્યાર સુધી પ્રવેશી શકી નથી. મંદિર ખુલ્યાના એક દિવસ પહેલા ત્યાં પુરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક અઠવાડિયા સુધી સબરીમાલામાં કલમ 144 લાગૂ રહેશે.
અગાઉ કેરલમાં ગુરુવારે એક સર્વદળીય બેઠક મળી હતી, પરંતુ તેનું કોઇ પરિણામ આવ્યું નહોતું. ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક પછી મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને કહ્યું કે, તેમણી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય લાગૂ કરવામાં અસમર્થ છે. તેમણે કહ્યું કે, સરકારની પાસે કોઇ વિકલ્પ નથી કારણ કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, 28 સપ્ટેમ્બરના નિર્ણય પર કોઇ રોક લાગી નથી, તેનો મતલબ એ છે કે 10-50 વર્ષની ઉંમરની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો અધિકાર છે.
વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાએ સરકાર પર અડિયલ હોવાનો આરોપ લગાવ્યો છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પી.એસ. શ્રીધરણ પિલ્લૈએ બેઠકના સમયની બર્બાદી ગણાવી હતી. આ તમામ વાતો વચ્ચે ભૂમાતા બ્રિગેડની ફાઉન્ડર તૃપ્તિ દેસાઇએ મુખ્યમંત્રી પિનરઇ વિજયનને પત્ર લખીને સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરમાં જવા માટે સુરક્ષાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયથી કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિરના દ્વાર તમામ ઉંમરની મહિલાઓ માટે ખૂલી ચૂક્યા છે. આ નિર્ણયને લઇને કેરળમાં રાજનૈતિક ધમાસણ પણ મચ્યું હતું. ઘણા સંગઠન અને રાજનૈતિક પક્ષો મંદિરમાં મહિલાઓની એન્ટ્રીના વિરોધમાં છે. બીજેપીએ માર્ચ કાઢીને કેરળ સરકારનો વિરોધ પણ કર્યો છે. એવામાં રાજ્યમાં તણાવનો માહોલ છે. કોંગ્રેસ અને બીજેપી બન્ને પાર્ટીઓ ઈચ્છે છે કે મંદિરમાં પરંપરા પ્રમાણે 10થી 50 વર્ષની મહિલાઓ પર પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રહે. છેલ્લા કેટલાંક સમયથી મંદિરમાં એન્ટ્રીને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ સતત હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે.