સુરત : દિવાળીમાં આવક વધારવા એસટી તંત્ર સજજ, 1,000 એકસ્ટ્રા ટ્રીપો દોડાવશે  

Update: 2019-10-11 11:07 GMT

નવલા નોરતા બાદ હવે દિવાળીનો તહેવાર આવી રહયો છે ત્યારે દિવાળીમાં આવક વધારવા માટે એસટી વિભાગે એકસ્ટ્રા ટ્રીપોના સંચાલનની તૈયારીઓ કરી દીધી છે. સુરત ડીવીઝન ગુજરાત તથા અન્ય રાજયોમાં જવા માટે 1,000થી વધારે એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવા જઇ રહી છે.

દિવાળી વેકેશન માટે એસટી નિગમનું સુરત ડીવીઝન 1000 કરતા પણ વધુ એકસ્ટ્રા બસો દોડાવશે. અને જો 51 થી વધુ મુસાફરોનું બુકીંગ હશે તો ઘર સુધી મુસાફરોને લેવા માટે એસટી બસ આવશે. 22 થી 27 ઓક્ટોમ્બર દરમ્યાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત દાહોદ ગોધરા ઝાલોદ લુણાવાડા અને પંચમહાલ રૂટ પર એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. ગુજરાતમાં વસતા મહારાષ્ટ્ર સમાજના લોકો માટે ઉધના ડેપોથી મહારાષ્ટ્ર ખાતે નવાપુર ધુલિયામાં વધારાની બસ દોડાવવામાં આવશે. સુરતને કર્મભૂમિ બનાવી શહેરમાં વસતા લાખો લોકો વાર તહેવારે અચૂક માદરે વતન જાય છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશન તેવો વતનમાં જ વિતાવે છે. ત્યારે રેલવે અને બસમાં ભારે ભીડનો ધસારો જોવા મળે છે. મુસાફરોના ધસારાને ધ્યાને લઇ એસટી નિગમ વધારાની બસો દોડાવી આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે.

 

Similar News