/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/15171807/maxresdefault-107-107.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રૂપિયા 80 લાખની છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે કેરળથી ધરપકડ કરી છે. જેમાં આરોપીને વ્યવસાયમાં દેવું થઇ જતા મિત્ર પાસેથી તબક્કાવાર રૂપિયા લઇ કેરળ ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર શહેર જીઈબી નજીક આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા રીખવદેવ તીર્થરામ શર્માએ વર્ષ 2016થી વર્ષ 2018 સુધી તેઓના મિત્ર બીજું પી.એ. અને તેઓના સાળા મનોજ કે. ઉલ્લાહનને અલગ અલગ ચેકથી વેપાર અર્થે રૂપિયા 80 લાખ ઉછીના આપ્યા હતા. જે પરત માંગતા બન્ને બહાના બતાવતા હતા. જોકે થોડા સમય બાદ તેઓ તેમના વતન કેરળ રવાના થઇ ગયા હતા, ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે વર્ષ 2019માં બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.
સમગ્ર મામલે ભરૂચ પોલીસની ટીમે કેરળ પહોચી આરોપી બીજું પી.એ.ની ધરપકડ કરી તેને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જેમાં આરોપીની સઘન પૂછપરછ કરાતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. બન્ને સાળા-બનેવી વિવિધ પ્રકારની બેટરીની એજન્સી ધરાવતા હતા જેમાં તેમને ભારે ખોટ ગઈ હતી. ફરિયાદી રીખ્વદેવ શર્મા બીજું પી.એ.ના સારા મિત્ર હોય તેણે તેમની પાસે વ્યવસાયમાં રોકાણ કરવાના બહાને તેમની પાસે રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા લેણદારોને ચૂકવી કેરળ ફરાર થઇ ગયા હતા, ત્યારે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.