![જનતાના 40 ડિગ્રીના સવાલનો કમાલ : રમાડ ગામે પાણીની તંગીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/2.jpg)
મેઘરજ તાલુકાના રમાડ ગામે પીવાના પાણીની તંગીના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું અને પાણી પુરવઠા વિભાગને હેન્ડ પંપ ચાલુ કરવા માટે લેખિતમાં જાણ કરી છે. મેઘરજન તાલુકા વિકાસ અધિકારીએ માન્યુ કે, રમાડ ગામમાં 100 પરિવારોની કુલ 600 માણસોની વસ્તી ધરાવે છે, અને ગામમાં કુલ 12 હેન્ડ પંપ છે, જે પૈકી માત્ર 1 જ ચાલું છે. રમાડ ગામના લોકો ખાનગી માલિકીના ખેતરમાંથી હાલ પીવાના પાણી ભરી લાવે છે, ત્યારે 11 જેટલા બંધ હેન્ડ પંપ તાત્કાલિક ચાલુ કરવા માટે ભિલોડા નાયબ કાર્યપાલ ઇજનેરની કચેરીને લેખિતમાં જાણ કરી છે.
તારીખ 30-04-2019ના રોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રમાડ ગામમાં પાણીની તંગીનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં રમાડ ગામના લોકો એક બેડૂ પાણી લેવા માટે ગરમીના પ્રખર તાપમાં પોતાના કામ-ધંધા તેમજ મહિલાઓએ ઘરકામ છોડીને પાણી ભરવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ગ્રામજનો અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્રને તેમની વાત સાંભળવામાં રસ જ નહોતો. જોકે મીડિયા રમાડ ગામની જનતાનો સહારો બન્યું અને તેમની તકલીફને વાચા આપતા, તંત્રના કાને તેમની વાત પહોંચી હતી. જેને લઇને તંત્ર જાણે ગોર નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ તાબડતોબ યુદ્ધના ધોરણે તમામ હેન્ડ પંપ ચાલુ કરવા માટે પાણી પુરવઠાને 40 ડિગ્રીનો પત્ર મોકલી આપ્યો છે.
જનતાના સવાલ
- તંત્ર કેમ મોડે મોડે જાગે છે ?
- શું તંત્ર દ્વારા સમયાંતરે અંતરિયાળ વિસ્તારોની મુલાકાત નથી કરવામાં આવતી ?
- પાણી પુરવઠા વિભાગ દ્વારા હેન્ડ પંપની જાળવણી કેમ નથી કરવામાં આવતી ?
- જો જાળવણી કરતી હોય તો હેન્ડ પંપ બંધ હાલતમાં કેવી રીતે હોય છે ?