અરવલ્લી જિલ્લામાં નાણા ડબલ કરવા અને બચત કરવાની લાલચ આપી એક ઠગબાજ દંપત્તિએ 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોસ્ટ ઓફિસમાં રિકરિંગના નામે દંપતીએ નાણાં તો ઉઘરાવ્યા હતા. પરંતુ નાણાં પોસ્ટના ખાતામાં જમા નહીં થતાં ભાંડો ફૂટ્યો હતો.
જો તમે એજન્ટ થકી સરકારી વીમા અથવા તો સરકારી કચેરીમાં નાણાં રોકતા હોવ તો, થોડી સાવચેતી જરૂર રાખજો. કારણ કે, અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પોસ્ટ ઓફિસમાં રિકરિંગના નામે લોકોના નાણાં ઉઘરાવી ચાઉં કરી જવાની ઘટના સામે આવી છે. જેમાં એક કે બે નહીં, પણ 100થી વધુ ગ્રાહકોના નાણાંની ઉચાપત કરનાર દંપત્તિને પોલિસે ઝડપી પાડ્યું છે. મોડાસા શહેરમાં રહેતું દંપત્તિ રોકાણકારો પાસેથી રિકરિંગના નાણાં લેતા હતા અને ખાતામાં જમા નહોતા કરાવતા, ત્યારે નાયબ પોલિસ વડા ભરત બસિયાના ધ્યાને વાત આવતા તેઓએ તાત્કાલિક આ અંગે તપાસ કરતા 100થી વધુ લોકો આ દંપત્તિ દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીનો શિકાર બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જોકે અરવલ્લી પોલિસને આ ઠગબાજ દંપત્તિએ કેટલા નાણાંની ઉચાપત કરી છે, તે અંગે હાલ ચોક્કસ આંકડાની માહિતી મળી નથી. પરંતુ સમગ્ર મામલે ઠગ કરનાર દંપત્તિની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો સાથે જ પોસ્ટ ઓફિસમાં રિકરિંગના નામે કોઇપણ વ્યક્તિ આ દંપત્તિનો શિકાર બની હોય તો તાત્કાલિક નજીકના પોલિસ મથકે જાણ કરવા માટે પણ જિલ્લા પોલિસે અપિલ કરી છે. મહેનતની પૂંજી ક્યાય ન વેડફાય અને ઠગ ટોળકીના હાથે ન જાય તે ધ્યાન રાખવાની જવાબદારી તમામ લોકોની છે. પરંતુ આવા ઠગબાજો અનેક લોકોને વિશ્વાસમાં લઇ નાણાં ચાઉં કરી જાય છે. તે હવે ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત બની છે.