• દાંતાની આશ્રમશાળામાં ફૂડ પોઈઝનિંગનો મામલો

  • આદિજાતિ નિયામક દ્વારા બે ઇન્ચાર્જ આચાર્યને કરાયા સસ્પેન્ડ

  • 40 જેટલા બાળકો અને ત્રણ શિક્ષકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું

  • ઘટનામાં એક છાત્રનું નિપજ્યું હતું કરૂણ મોત

  • જિલ્લા કલેકટરે શાળામાં તકેદારી રાખવા આપી સૂચના

બનાસકાંઠા જિલ્લાના દાંતાના વેકરી આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેર બાદ વિદ્યાર્થીના મોતની ઘટના માટે જવાબદાર આશ્રમશાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ 2 આચાર્યોને તંત્ર દ્વારા ફરજ મોકૂફ કરી દેવાયા હતા.

બનાસકાંઠા જિલ્લાના દાંતાના વેકરી આદિવાસી આશ્રમ શાળામાં ખોરાકી ઝેરની ઘટના બની હતી,40 જેટલા બાળકો અને ત્રણ શિક્ષકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું,આદિવાસી આશ્રમશાળામાં ખોરાકી ઝેરથી ઝાડા ઉલટી થતાં 1 વિદ્યાર્થીનું મોત થયું હતું.

આ ગંભીર ઘટનામાં બનાસકાંઠા જિલ્લા પ્રાયોજના વહીવટદાર દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને તેનો રિપોર્ટ ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિયામકને મોકલી આપ્યો હતો. જેમાં નિયામક આશિષકુમારે બંને આચાર્યોને ફરજ મોકુફ કરવાનો આદેશ કર્યો હતો.

આદેશમાં જણાવ્યું છે કેઆ ઘટનામાં આશ્રમશાળા વેકરીના સંચાલક મંડળ તેમજ આચાર્ય દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. આથી રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમશાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરતકુમાર પી. ચૌહાણ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળાના ઇન્ચાર્જ આચાર્ય ગોવિંદજી પી. ઠાકોરને ફરજ મોકૂફ કરાયા હતા.અને શિસ્ત વિષયક પગલા લેવા આદેશ કરાયો છે.