જીવના શિવા સાથે મિલન કરાવતા પવિત્ર શ્રવણ માસની ઉજવણી માટે ભક્તો થનગનાટ અનુભવી રહ્યા છે ત્યારે હાંસોટ તાલુકાનાં જૂના ઓભાં ગામના યુવાનોએ સાહસિક ભક્તિનો પરિચર કરાવ્યો છે. જૂના ઓભાં ગામના 20 જેટલા યુવાનો કેદારનાથની કાવડ યાત્રાએ નીકળ્યા છે. આજરોજ ગામના નીલકંઠ મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ તેઓ કેદારનાથની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા.

Delete Edit

સમસ્ત ઓભા ગામના ગ્રામજનોના સહયોગથી આ બાબા કેદારનાથની કાવડયાત્રાનું આયોજન કરાયું છે જેમાં ગામના 20 યુવાનો કાવડ સાથે પગપાળા 1453 કી.મી.નું અંતર 40 દિવસમાં કાપી કેદારનાથ ધામમાં પહોંચશે અને પોતાના ગામનું જળ બાબા કેદારનાથને અર્પણ કરશે. કાવડયાત્રીઓની સેવા માટે કેટલાક ગ્રામજનો પણ તેમની સાથે કેદારનાથ રવાના થશે. કેદારનાથથી પ્રત ફરી તેઓ ગામના નીલકંઠ મહાદેવને જળ અર્પણ કરશે અને પૂજન અર્ચન કરશે

આ અંગે ગામના યુવાન અજય પટેલે જણાવ્યુ હતું કે આ અગાઉ ગામમાંથી સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લીંગ સુધી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રથમ વખત 1453 કી.મી.ની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બાબા કેદારનાથના ધામમાં જળ ચઢાવવામાં આવશે. આ સમગ્ર કાવડયાત્રામાં ગ્રામજનોનો સહયોગ સાંપડ્યો છે.