ભરૂચ : શાળાઓ ચાલુ રાખવાની માંગ સાથે સામાજીક સંસ્થાએ કર્યું પત્રિકા વિતરણ
રાજયમાં કોરોના વાયરસના કહેરના કારણે મહિનાઓ સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ઓછુ થયા બાદ હાલ ધોરણ - 6 થી 12 સુધીનું શૈક્ષણિક કાર્ય શાળાઓમાં ચાલુ કરવામાં આવ્યું છે. સામાજીક કાર્યકર ડૉ. માયા વાલેચા તથા તેમની ટીમ સરકારના શાળાઓ બંધ કરવાના નિર્ણય સામે જન આંદોલન ચલાવી રહી છે. ભરૂચ ના પાંચબત્તી સર્કલ પાસે પત્રિકાઓનું વિતરણ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડૉ. માયા વાલેચાના જણાવ્યા અનુસાર આપણા બાળકોનું ભવિષ્ય અંધકારમય બનતું અટકાવવું જોઈએ. સ્વસ્થ બાળકોને કોરોના થતો નથી અને થાય તો પણ સામાન્ય અસર થાય છે બાળકો મોટી ઉંમરના વ્યક્તિને કોરોનાનો ચેપ લગાડતા નથી. તેથી શાળાઓ બંધ રાખી ઓન લાઈન શિક્ષણ આપવું તે બાળકોના ભવિષ્ય સાથે ખીલવાડ કરવા સમાન છે. વિવિધ દેશોના ઉદાહરણ પત્રિકામાં આપવામાં આવ્યા છે. માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ રાખવાથી બાળકોની માનસિકતા પર નકારાત્મક અસર થાય છે એમ પણ પત્રિકામાં જણાવાયું છે.