ભરૂચ : શું તમે કોરોના કાળમાં માનસિક તણાવ અનુભવો છો..? "ચાલો વાત કરીએ" સ્લોગન હેઠળ નિઃશુલ્ક હેલ્પલાઇન શરૂ કરાઇ

New Update
ભરૂચ : શું તમે કોરોના કાળમાં માનસિક તણાવ અનુભવો છો..? "ચાલો વાત કરીએ" સ્લોગન હેઠળ નિઃશુલ્ક હેલ્પલાઇન શરૂ કરાઇ

કોરોના કાળમાં વધતો મૃત્યુ આંક, રોજબરોજ ટેલિવિઝન સ્ક્રીન પર આવતા સ્મશાનના બિહામણા દ્રશ્યો, કબ્રસ્તાનના દ્રશ્યો, હોસ્પિટલમાં ઓક્સિજન વગર ટળવળતાં લોકો અને રોજબરોજ સાંભળવા મળતા મૃત્યુના સમાચારોએ લોકોમાં ડરનું વાતાવરણ ઉભું કર્યું છે, જેનાથી માનસિક રીતે તણાવમાં રહેલા લોકોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

કોરોના કાળના ડર ભર્યા માહોલમાં માનસિક રીતે રોગગ્રસ્ત બનેલાઓ માટે કિરણ મજમુદારના માર્ગદર્શન હેઠળ “ચાલો વાત કરીએ”ના સ્લોગન સાથે માનસિક સ્વાસ્થ્ય માટેની નિઃશુલ્ક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં મોટીવેશનલ સ્પીકર અપૂર્વ પંડ્યા, ડો.સાજીદ ડે, ડો.સદ્દામ શેખ, અવની સોલંકી, ફરહીન મલેકની પાંચ જણની ટીમ કોરોનાગ્રસ્ત માનસિક રોગીનું ટેલિફોનિક કાઉન્સિલિંગ કરે છે જેથી તેઓમાં રહેલો ડર દૂર થાય અને હકારાત્મક વાતાવરણ ઉભું થાય જેથી કોવિડ દર્દી સહિત તેનો પરિવાર તણાવથી દૂર રહે અને ડરથી મૃત્યુ ન પામે..."ચાલો વાત કરીએ" માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન શરૂ થયાને થોડા દિવસ થયા છે ત્યારે 100 જેટલા માનસિક ડિસ્ટર્બ થયેલાનું હેલ્પલાઇન દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે.જેની માહિતી આપતા મોટીવેશનલ સ્પીકર અપૂર્વ પંડ્યા એ જણાવ્યું હતું કે મનમાંથી ડર દૂર કરવો જરૂરી છે.