ભરૂચ : જંબુસરમાં કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા, ચુંટણી પહેલાં કોંગ્રેસને ફટકો

New Update
ભરૂચ : જંબુસરમાં કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા, ચુંટણી પહેલાં કોંગ્રેસને ફટકો

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હવે કોઇ પણ કોંગ્રેસીને ભાજપમાં પ્રવેશ નહિ અપાય તેવી જાહેરાત ભલે કરી હોય પણ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભાજપની પેજ સમિતિની બેઠકમાં 100 કોંગી કાર્યકરોને હોંશે હોંશે ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભરૂચ જીલ્લાના પ્રભારી તરીકે ભાજપે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી તથા પ્રફુલ્લ પાનસેરીયાની નિયુકતિ કરી છે. બંને પ્રભારીઓની હાજરીમાં જંબુસર ખાતે પેજ સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી અંગે માર્ગદર્શન અપાયું હતું. જંબુસરમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડયું છે. 100 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.

બેઠકમાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, જીલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમના એક ભાષણમાં હવેથી કોઇ કોંગ્રેસીને ભાજપમાં પ્રવેશ નહિ અપાય તેવી ખાતરી આપી હતી પણ ભરૂચમાં કોંગી કાર્યકરોને હોંશે હોંશે ભાજપમાં પ્રવેશ અપાયો હતો.