/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/01180413/maxresdefault-1.jpg)
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલનનું રણશિંગુ ફૂંકનાર રાકેશ ટિકેટ તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ તેમનું સ્વાગત કરવા માટે તખ્તો ગોઠવાયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેના આગેવાન રાકેશ ટિકેટ આવનાર તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાકેશ ટિકેટની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા ભરૂચ જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ખેડૂત આગેવાનોએ રાકેશ ટીકેટના ભવ્ય સ્વાગતના ભાગ રૂપે બેઠક કરી ચર્ચા કરી હતી.
રાકેશ ટિકેટ બારડોલી જતી વેળાએ ભરૂચના ખેડૂતો પણ તેમની સાથે જોડવાના છે ત્યારે નબીપુર નજીક આવેલ લુવાર ગુરુદ્વારાની તેઓ મુલાકાત લેશે ત્યાર બાદ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે તેઓનું સ્વાગત કરાશે. સ્વાગતના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે આજરોજ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્ર સિંહ કરમડિયાની આગેવાનીમાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી ક્ષેત્રે જોડાયેલા સંદીપ માંગરોલા , યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.