/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/17134553/maxresdefault-181.jpg)
ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર નવા વર્ષની રાત્રિએ જ મોટી હોનારત થતાં અટકી હતી. સુરતથી સોમનાથ જઇ રહેલી ખાનગી લકઝરી બસના ડ્રાયવરે આરટીઓ ઓફિસ પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ ડીવાઇડર પર ચઢી ગઇ હતી. સદનસીબે બસ પલટી ન મારી જતાં મોટો અકસ્માત થતાં રહી ગયો હતો.
દિપાવલીના પર્વમાં લોકો વતનમાં જઇ રહયાં હોવાથી ખાનગી તથા સરકારી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. ખાનગી બસોના ડ્રાયવરો રાત્રિના સમયે બસો પુરપાટ ઝડપે હંકારતાં હોવાથી અકસ્માતના બનાવો બનતાં રહે છે. નવા વર્ષની રાત્રિએ સુરતથી સોમનાથ જઇ રહેલી લકઝરી બસના ડ્રાયવરે ભરૂચની આરટીઓ કચેરી પાસે કોઇ કારણસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી બસ બે લેનની વચ્ચે આવેલાં ડીવાઇડર પર ચઢી ગઇ હતી. સદનસીબે બસ પલટી ન મારી જતાં મોટી હોનારત થતાં અટકી હતી. બસમાં સવાર કેટલાક મુસાફરોને ઇજા થતાં તેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.