• ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણી

  • મેન્ડેટ અંગે મનસુખ વસાવાનું નિવેદન

  • પ્રદેશ ભાજપની ભૂલ થઈ હોવાનું નિવેદન

  • આવનારા સમયમાં પક્ષને નુકશાન થશે: સાંસદ

  • ભાજપના જ 2 દિગ્ગજો વચ્ચે ખેલાશે જંગ 

ભરૂચની ચર્ચાસ્પદ બનેલ દુધધારા ડેરીની ચૂંટણી અંગે સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ ભાજપ પર નિશાન સાધતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.અગાઉ પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપવા બાબતે કરેલા નિવેદન બાદ હવે સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ ભાજપ પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે.
મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે, જિલ્લાની સંકલન સમિતિમાં ચર્ચા કર્યા વગર જ ઉમેદવારી જાહેર કરાઈ છે જે પાર્ટીની મોટી ભૂલ છે અને સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના જ બે આગેવાનો આમને–સામને આવતા આવનારા સમયમાં પક્ષને નુકસાન થવાની શક્યતા છે.સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આવા નિર્ણયના કારણે ભરૂચ અને નર્મદા જિલ્લાના આગેવાનો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે કારણ કે ભાજપના જ નેતાઓની બન્ને પેનલ લડી રહી છે ત્યારે અન્ય આગેવાનો કોનો પ્રચાર કરે એ અંગેની પણ મૂંઝવણ ઉભી થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દુધધારા ડેરીની ચૂંટણીમાં હાલ ભાજપના જ બે વરિષ્ઠ આગેવાનોની પેનલ વચ્ચે જંગ છે. એક તરફ ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલ, તો બીજી તરફ નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ ટકરાઈ રહી છે.