/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/20162855/EqgC_T_VgAA5HST.jpg)
ભરૂચ લોકસભા મતવિસ્તારના ભાજપના સાંસદ મનસુખ વસાવાની તબિયત લથડતાં તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ તેઓ હોમ કવોરન્ટાઇન થયાં હતાં.
ભરૂચ લોકસભા બેઠક પરથી સતત છઠ્ઠી વખત સાંસદ તરીકે ચુંટાયેલાં મનસુખ વસાવાને 5 દિવસ પહેલા સામાન્ય તાવ સાથે શરીરમાં નબળાઈ જણાઈ હતી. તેઓએ કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. જ્યારે HRCT ટેસ્ટમાં પણ ફેફસામાં ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. તેઓ કોરોનાના કારણે પોતાના ઘરમાં હોમ કવોરન્ટાઇન થયાં હતાં. જો કે તેમની તબિયતમાં કોઈ સુધારો જોવા નહીં મળતા તેમને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની તબિયતને લઈ ભરૂચ-નર્મદા જિલ્લા ભાજપ સાથે લોકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
તેઓ જલ્દી સ્વસ્થ થઈ કોરોનાને હરાવે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. સાંસદ મનસુખભાઈ સાથે નર્મદા અને ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો હાજર હોવાની વિગતો બહાર આવી છે. સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકે જાણીતા છે અને તેઓ પોતાની પાર્ટીના નેતાઓ સામે બોલવામાં પણ ખચકાતાં નથી. તેઓ મોદી સરકારમાં મંત્રી પણ રહી ચુકયાં છે અને વડાપ્રધાન તેમને સૌથી પ્રમાણિક નેતા પણ ગણાવી ચુકયાં છે.