ભરૂચના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે એક માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે.વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. નિષ્ઠુર જનેતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
