- છેલ્લા પોણા બે મહિનાથી હોલ બંધ
- તાકિદે સમારકામ કરી હોલ કાર્યાંન્વીત કરવા સંસ્થાઓની માંગ
- જલ્દી સમારકામ પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરીશું : સુરભી તમાકુવાલા,પાલિકા પ્રમુખ
ભરૂચમાં લાંબા સમય થી પંડિત ઓમકાર નાથ કલાભવન સમારકામ હેઠળ પાલિકા દ્વારા બંધ કરી દેવાતા કલાપ્રેમી જનતાને કલાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.
ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંગીત ક્ષેત્રે ગુંજતું કરનાર પંડિત ઓમકારનાથ ઠાકુરનાં નામ પરથી નગર સેવા સદન દ્વારા ટાઉન હોલ બનાવવામાં આવ્યો હતો જ્યાં કલાપ્રેમી જનતા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક રજુ થતા હતા. જો કે નગર પાલિકાએ સમારકામના નામે ૧૪ જાન્યુઆરીથી હોલ બંધ કરી દીધો છે. જેના કારણે કલાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.પોણા બે મહિના થવા છતાં ટાઉન હોલનું સમારકામ પૂર્ણ થયું નથી. જેથી શહેરનો એક માત્ર ટાઉન હોલ બિન ઉપયોગી થઈ પડ્યો છે અને વિવિધ સંસ્થાઓએ ખાનગી સ્થળે કાર્યક્રમોનું આયોજન કરવું પડે છે.
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનને લઇ વિવાદ પણ જોવા મળી રહ્યો છે.હોલમાં હાઈટેનશન વીજ લોડ માટે નગર પાલિકા દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસે માંગણી કરવામાં આવી હતી. તો વીજ કંપનીએ ટાઉન હોલના પાછલા ૩ વર્ષનું બાકી બીલ રૂપિયા ૧૦.૫૦ લાખ ફટકાર્યું હતું અને તે જમા કરાવવા સુચના આપી હતી. આ અંગે નગર પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે વીજ કંપની સમયાંતરે બીલ નથી આપતી અને એક સાથે જ આપે છે. જેના કારણે આ પ્રશ્ન ઉભો થયો છે આવનારા સમયમાં બાકી વીજ બીલની રકમ ભરપાઈ કરી દેવામાં આવશે અને ટાઉન હોલ ખુલ્લો મુકાશે