ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત થવા મામલે આજરોજ સરકાર દ્વારા નિયુક્ત તપાસ પંચના નિવૃત્ત જસ્ટિસ ડી.એ.મહેતાએ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
ભરૂચના મહમદપૂરા વિસ્તારમાં આવેલ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં તારીખ 1લી મેની રાત્રિએ આઈ.સી.યુ.વોર્ડમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 16 દર્દી અને 2 નર્સ સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યાં હતા. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસ દ્વારા 9 ટ્રસ્ટીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
અગ્નિકાંડની ઘટનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા તપાસ પંચની રચના કરવામાં આવી હતી ત્યારે તપાસ પંચના નિવૃત્ત જસ્ટીસ ડી.એ.મહેતા આજરોજ હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા તેઓ સાથે સચિવ ગિરિરાજ ઉપાધ્યાય, ડિસ્ટ્રીકટ ગવર્મેન્ટ પ્લીડર હિતેશ રાવલ, ભરુચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા, એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાં પણ જોડાયા હતા અને જે સ્થળે આગ ફાટી નીકળી હતી એ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ભરૂચ વહીવટી તેમજ પોલીસ વિભાગના આની અધિકારીઓ પણ જોડાયા હતા. આવનારા દિવસોમાં પંચ દ્વારા આ અંગેનો રિપોર્ટ આપવામાં આવશે.