ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 16 દર્દીઓ સહિત 18 લોકોના મોત નિપજ્યા હતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવાનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલ પટેલ વેલફેર હોસ્પિટલને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી જેમાં ગત તારીખ 1લીમે ની રાત્રીએ આઈ.સી.યુ.વિભાગમાં આગ ફાટી નીકળતા સારવાર લઈ રહેલા 16 દર્દી સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી જોકે મામલામાં હવે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.આમ છતા સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી.આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે હોસ્પિટલના ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાલા સહિતના ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે