ભરૂચ : શનિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બજારો રહેશે બંધ

New Update
ભરૂચ : શનિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બજારો રહેશે બંધ

ભરૂચ શહેરમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી શનિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી વેપારી એસોસીએશને લોકડાઉનની જાહેરાત કરી છે. જો કે લોકડાઉન દરમિયાન ડેરી અને મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવશે.

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહયાં છે ત્યારે લોકડાઉનની તાતી જરૂરીયાત વર્તાઇ રહી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભરૂચ શહેરમાં સાતમી એપ્રિલના રોજથી રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફયુ લાદી દેવામાં આવ્યો છે. નાઇટ કરફયુનો અમલમાં હોવા છતાં રોજના સરેરાશ 20થી વધુ લોકોના મોત થઇ રહયાં છે. ભરૂચમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી લોકડાઉન કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.

જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાના અધ્યક્ષ સ્થાને વેપારી એસોસીએશનના હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી જેમાં કલેકટરે વેપારીઓને શહેરની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યાં હતાં. વેપારીઓ પણ શનિવારે બપોરના 12 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવા સહમત થયાં છે. આ દરમિયાન ડેરીઓ તથા મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. ભરૂચ જિલ્લા વેપારી એસોસીએશનના પ્રમુખ નાગજીભાઇ ગાંધીએ જણાવ્યું હતું કે, લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી વેપારીઓએ શનિવાર અને રવિવારના રોજ દુકાનો બંધ રાખવાનું નકકી કર્યું છે.

Latest Stories