ભરૂચ શહેરમાં અત્યાર સુધીમાં માત્ર શાકભાજી તથા ફળાદિની લારીઓ તેમજ આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી હતી પણ શુક્રવારના રોજ સરકારની આંશિક છુટછાટો બાદ સવારે 9 વાગ્યે તમામ દુકાનો ખુલી હતી.
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી જતાં રાજય સરકારે 36 શહેરોમાં મીની લોકડાઉન અને નાઇટ કરફયુ અમલમાં મુકવામાં આવ્યો છે. સરકારના આ બે પગલાં બાદ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહયો છે બીજી તરફ વેપારીઓ પણ ધંધા- રોજગાર શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી રહયાં હતાં.
ગુરૂવાર સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનમાં છુટછાટની જાહેરાત કરી હતી અને તમામ દુકાનોને સવારના 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે. ભરૂચમાં શુક્રવારે સવારે 9 વાગ્યાથી મોટાભાગના બજારો ખુલી ગયાં હતાં. બજારો ખુલતાં ગ્રાહકો અને વેપારીઓની ચહલ પહલ જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી બંધ રહેલી દુકાનો ફરીથી ખુલી હતી.