ભરૂચ: સબજેલમાં સજા કાપી રહેલ કેદીઓએ મેળવ્યું કોરોના સામે કવચ
ભરૂચ સબજેલમાં સજા કાપી રહેલ 45 વર્ષથી વધુની વયના કેદીઓને રસી મૂકવામાં આવી હતી. દેશમાં આજથી 45 વર્ષથી વધુની વયના લોકોને રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે દેશમાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. પહેલા 60 વર્ષથી વધુની વયના લોકોને રસી મૂક્યા બાદ આજથી 45 વર્ષથી વધુની વયના લોકોને રસી મૂકવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ સબજેલ ખાતે જેલમાં રહેતા ૪૫થી વધુ વયના કેદીઓ માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦થી વધુ કેદીઓને રસી મૂકવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં જેલ સુપ્રિટેન્ડન્ટ આઈ. વી. ચૌધરી સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ગૌતમ મહેતા તેમજ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.